ગુજરાત ભૂમિ, ભુજ
અંજાર તાલુકાના નાની નાગલપરમાં કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નોને ત્વરીત ઉકેલવા વહીવટીતંત્ર તરફથી ખાત્રી આપવામાં આવી હતી. ગ્રામસભા પૂર્વે કલેકટરશ્રીનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા. આ સાથે ગ્રામજનોએ નર્મદાના પાણીનો પ્રશ્ન, જર્જરીત વીજવાયરો, નવા કનેકશન, રેવન્યુને લગતા પ્રશ્નો, રી-સર્વે, દબાણ, ઓવરલોડ ગાડીઓ, નવા ટાંકા બનાવવાની કામગીરી, નવા બાયપાસ રસ્તા પર ખેડુતો માટે પુલ તેમજ એપ્રોચ રોડની કામગીરી કરવા, નવી શરતમાંથી જૂની શરતની ફેરવણી વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રસંગે કલેકટર દ્વારા ગ્રામજનોને સંબોધિત કરીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરવા સાથે વહીવટીતંત્ર સરકારી યોજનાઓનો લાભ આપવા કટિબધ્ધ હોવાનું તથા ગામના પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે સરપંચ, ઉપ સરપંચ, પંચાયતના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
