ગુજરાત ભૂમિ, ગાંધીનગર
પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે.
ભારતીય રસોડામાં મસાલા એ માત્ર સ્વાદ નથી, પણ આયુર્વેદિક ઔષધિ છે. જ્યારે ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે છે, ત્યારે તે માત્ર પાક નથી પકવતો, પણ સમાજને સ્વાસ્થ્ય પીરસે છે.
રાસાયણિક vs. પ્રાકૃતિક મસાલા: મુખ્ય તફાવત
ગ્રાહકો હવે જાગૃત થયા છે. તેઓ પ્રાકૃતિક અને રાસાયણિક ખેતીના તફાવતો સમજવાને કારણે પ્રાકૃતિક મસાલા તરફ વળ્યા છે,
સ્વાદ અને સુગંધની વાત કરવામાં આવે તો, કૃત્રિમ ખાતરને લીધે સ્વાદ મોળો હોય છે, સુગંધ ઓછી હોય છે. અસલી તીખાશ અને કુદરતી તેલીય તત્વો જળવાતા નથી.સાથેજ મસાલા જલદી બગડી જાય છે,અથવા તેમાં જાળી કે જીવાત વહેલી પડે છે.
પેસ્ટીસાઈડના અવશેષો કેન્સર અને પેટની બીમારીઓ નોંતરે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિથી પકવેલા મસાલા એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર અને સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, સુગંધ અને તેલીય તત્વ જળવાઈ રહે છે.
રાસાયણિક પ્રક્રિયાથી પકવેલા મસાલાનો રંગ જાળવવા ઘણીવાર કેમિકલનો સહારો લેવો પડે છે. પરંતુ પ્રાકૃતિક કૃષિથી મસાલાનો કુદરતી રંગ જળવાય છે.
પ્રાકૃતિક પદ્ધતિથી મસાલા પકવવા માટે ખેડૂતોને માર્ગદર્શન
જો તમે મરચાં, ધાણા, જીરું કે વરિયાળીનું વાવેતર કરવા માંગતા હોવ, તો આ પાયાના સિદ્ધાંતો અપનાવો
બીજ સંસ્કાર (બીજામૃત): વાવેતર કરતા પહેલા બીજને બીજામૃતથી પટ આપો. આનાથી ફૂગજન્ય રોગો સામે રક્ષણ મળશે અને ઉગાવો સારો થશે.
જમીનનું પોષણ : રાસાયણિક ખાતર DAP/Urea ને બદલે દર ૧૫ દિવસે પિયત સાથે જીવામૃત આપો. તે જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવોની સંખ્યા વધારે છે, જે મસાલાના પાકને પોષણ આપે છે.
છાયડો અને ભેજ: જીરું અને ધાણા જેવા નાજુક પાકોમાં જમીન પર મલ્ચિંગ એટલે કે,આચ્છાદન કરવાથી ભેજ જળવાઈ રહે છે અને નીંદણ ઓછું થાય છે.
જીવાત નિયંત્રણ: મરચામાં આવતી ‘કોકડવા’ કે જીરુમાં આવતી ‘ચરમી’ માટે દશપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર કે ખાટી છાશનો છંટકાવ અકસીર ઈલાજ છે.
પ્રાકૃતિક કૃષિ દ્વારા મસાલા પાક થી ખેડૂતો માટે આર્થિક ફાયદા
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો: બહારથી મોંઘા ખાતર કે દવા લાવવાની જરૂર રહેતી નથી. બધું જ ઘરે ગાય દ્વારા પ્રાપ્ત થાય છે.
સીધું વેચાણ: પ્રાકૃતિક મસાલા પકવતા ખેડૂતોએ યાર્ડમાં જવાની જરૂર પડતી નથી. સોશિયલ મીડિયા અથવા ‘ફાર્મ ટુ હોમ’ મોડેલથી ગ્રાહકો ખેતરે આવીને ઊંચા ભાવે ખરીદી કરે છે.
મૂલ્યવર્ધન: આખા મસાલા વેચવાને બદલે તેનું ગ્રેડિંગ કરી, દળીને પેકિંગ કરીને વેચવાથી ૨ થી ૩ ગણી વધુ કિંમત મળી શકે છે.
આમ “રસાયણ મુક્ત ખેતી એ માત્ર પર્યાવરણની રક્ષા નથી, પણ ખેડૂતને દેવામાંથી મુક્ત કરવાનો માર્ગ છે. તો આ ઉનાળે તમારા ખેતરમાં પકવેલા શુદ્ધ મસાલાથી ગ્રાહકોનું રસોડું મહેકાવો અને આપણી ભારતીય પરંપરા પ્રમાણે પ્રાકૃતિક કૃષિ અપનાવો.
