ગુજરાત ભૂમિ, દાહોદ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા, ધાનપુર તેમજ લીમખેડા ખાતે યોજાયેલ જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી. બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યઓ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો પણ સહભાગી બન્યા હતા.
જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, આપણા આદિવાસી ભાઈ-બહેનો મહેનતુ, દેશભક્ત, જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આદિવાસી સમાજ માટે ઉત્સવ સમાન છે. ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી. એમ કહેતા એમણે આદિજાતિ વિકાસ માટેની સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી. બરંડાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, બિરસા મુંડાએ લોકહિતના કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે. ભગવાન બિરસા મુંડાની યાદમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦ મી જન્મજયંતિ તા. ૧૫ નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. આ દરમ્યાન સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ દેશહિતમાં અંગ્રેજ શાસકો સામે લડાઈ લડી અને આદિવાસી સમાજને હક તથા સ્વાભિમાન અપાવવાનો પ્રથમ અવાજ બુલંદ કર્યો હતો. જનજાતિય ગૌરવ દિવસ માત્ર આદિવાસી સમાજ પૂરતો સીમિત નથી, તેઓ સમગ્ર દેશના રખવાલા હતા.
દેશભરના તમામ સમાજો અને જનપ્રતિનિધિઓ જ્યારે આ દિવસની ઉજવણીમાં સાથે જોડાય છે, ત્યારે એ એકતાનું પ્રતીક અને આપણી સાચી તાકાત બની રહે છે. આપણા આદિવાસી સમાજનો ઈતિહાસ ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓને તથા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને પ્રશસ્તી પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સાથે વિવિધ યોજનાકીય લાભોના વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના સહિત દાહોદ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, સરપંચશ્રી અને મોટી સંખ્યામાં દાહોદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
