ગુજરાત ભૂમિ, જામનગર
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૧૨ અરજીઓ પૈકી ૯ પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.
ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરએ સૂચનો કર્યા હતા.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ઉંડ જળ સંચન વિભાગને લગત પ્રશ્ન, જમીનની માલિકીને લગત રજૂઆત, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાને લગત પ્રશ્ન, જામજોધપુરમાં ઇલેક્ટ્રિક પોલ ઉપર મંજુરી વગર વાયર ફીટ કરવા બાબતનો પ્રશ્ન, બેંકને લગત પ્રશ્ન, પીવાના પાણી બાબતનો પ્રશ્ન, પીજીવીસીએલ, જમીન સમતલ કરી આપવા બાબતનો પ્રશ્ન, પેઢીનામું રદ કરવા બાબતે, રસ્તા પરના દબાણો દુર કરવા અંગે, પ્રોપર્ટી કાર્ડને લગત પ્રશ્નોને કલેકટરએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.
અરજદારોએ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, લગત વિભાગના અધિકારીઓ તથા અરજદારઓ ઉપસ્થિત રહ્યા હતા.
